બીજી ટેસ્ટ મેચની શરૂઆત પહેલા ફેન્સની ચિંતા વધી ગઈ , ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને અપાઈ સલાહ

By: nationgujarat
02 Jul, 2025

બીજી જુલાઈ, 2025થી બર્મિંગહામમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની બીજી ટેસ્ટ મેચની શરૂઆત થવાની છે. જોકે આ મેચ પહેલા એવી ઘટના થઈ જેના કારણે ફેન્સની ચિંતા વધી ગઈ હતી. શહેરના સેન્ટેનરી સ્ક્વેરમાં એક શંકાસ્પદ પેકેટ મળ્યા બાદ બર્મિંગહામ સિટી સેન્ટર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને હોટલમાં રોકાયેલા ખેલાડીઓને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી.

પોલીસે શું કહ્યું? 

મંગળવારે બપોરે 3 વાગ્યે પોલીસને એક શંકાસ્પદ પેકેટ મળ્યાની સૂચના પ્રાપ્ત થઈ હતી. જે બાદ આસપાસના સમગ્ર વિસ્તારનસ સીલ કરી દેવામાં આવ્યો. પોલીસે અગમચેતી દાખવી અને આસપાસની ઈમારતો પણ ખાલી કરાવી દીધી. તથા લોકોને પણ તે વિસ્તારમાંથી પસાર ન થવાની સૂચના આપવામાં આવી.

ટીમ ઈન્ડિયા એક કલાક હોટલમાં જ ‘કેદ’ રહી 

ન્યૂઝ એજન્સી PTIના અહેવાલ અનુસાર પોલીસે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી તથા અન્ય સદસ્યોને પણ હોટલમાં જ રહેવા સૂચના આપી હતી. જોકે આ પ્રતિબંધ માટે એક કલાક માટે જ હતો. એક કલાકની તપાસ બાદ પોલીસે ફરીથી ખેલાડીઓને હોટલ બહાર જવાની છૂટ આપી દીધી હતી. નોંધનીય છે કે ઘણીવાર એક દેશથી બીજા દેશમાં ક્રિકેટ મેચ રમવા ગયેલા ખેલાડીઓ ફરવા માટે પણ નીકળતા હોય છે. એવામાં ભારતીય ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે આ અપીલ કરી હતી.

પાંચ મેચોની ટેસ્ટ સીરિઝમાં બીજી મેચ ટીમ ઈન્ડિયા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. પહેલી મેચમાં ભારતનો પાંચ વિકેટથી પરાજય થયો હતો. શુભમન ગિલની કેપ્ટન્સીમાં આ મેચ ટીમે જીતવી પડશે, તો જ સીરિઝમાં 1-1ની બરાબરી શક્ય થશે.


Related Posts

Load more